રાજ્ય સરકારે રાવલ નગરપાલિકાને ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં અપગ્રેડ કરી છે. આ નિર્ણય 10 માર્ચના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર લેવામાં આવ્યો છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેની ૧ એપ્રિલથી અમલવારી થશે અને હવે તે મુજબ ગ્રાન્ટ સહિતની સવલતો મળશે.
રાવલ નગરપાલિકાને 15.5 કરોડ વિકાસ કામો માટે ફાળવવામાં આવશે
રાજ્યના સર્વગ્રાહી વિકાસને પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ આપવા નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું. જેમાં રાવલ નગરપાલિકા ને ક વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક-વર્ગની નગરપાલિકાઓને રૂપિયા 15.5 કરોડ વિકાસ કામો માટે ફાળવવામાં આવશે
જે નગરપાલિકામાં વસ્તી ૧૫થી ૨૫ હજાર હોય છે તેને ‘‘ડ” વર્ગ, જેની વસ્તી ૨૫થી ૫૦ હજાર હોય તેને ‘‘ક” વર્ગ, જેની વસ્તી ૫૦ હજારથી ૧ લાખ હોય તેને ‘‘બ” વર્ગ તથા જેની વસ્તી ૧ લાખથી વધુ હોય તેને ‘‘અ” વર્ગમાં સમાવવામાં આવે છે. વધુમાં નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં સમાવવા, વિસ્તાર વધવા સહિતના ફેરફારોને ધ્યાને રાખી શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા આગામી ૧ એપ્રિલથી સ્થિતએ ૧૪૯ નગરપાલિકાના વર્ગની જાહેરાત કરી છે. જેમાં ‘‘અ” વર્ગમાં ૩૪, ‘‘બ” વર્ગમાં ૩૭, ‘‘ક” વર્ગમાં ૬૧, ‘‘ડ” વર્ગમાં ૧૭ નગરપાલિકાઓને સમાવવામાં આવી છે.
દ્વારકા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અપગ્રેડ થઇ છે
ખંભાળિયા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકાને સી ગ્રેડમાંથી સીધી એ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. જયારે જામ રાવલ નગરપાલિકાને સી ગ્રેડમાં બઢતી અપાઈ. જેના કારણે અગાઉ મળતી 8 કરોડની ગ્રાન્ટમાં પણ વધારો થયો છે હવે દ્વારકા અને ખંભાળિયા નગરપાલિકાને વાર્ષિક 28 કરોડની ગ્રાન્ટ મળશે. જયારે રાવલ નગરપાલિકાને 15.5 કરોડની ગ્રાન્ટ મળશે. જેથી નગરપાલિકાના વિસ્તારોમાં વધુ વિકાસ કાર્યો હાથ ધરાઈ શકશે, આ નિર્ણય માટે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા છે.