Bharuch News: ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાતની ઘટનાએ પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
હેડક્વાર્ટર રૂમમાં મળી લાશ
પ્રાથમિક માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી રહેણાંક રૂમમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસિંહ પરમારએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આપઘાતનું કારણ હજુ અકબંધ
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની વતની પ્રીતિ પરમારના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો તેમજ સહકર્મીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગઇકાલે સ્ટાફ સાથે ખુશખુશાલ જોવા મળ્યા હતા
આ ઘટના વધુ ચિંતાજનક બનતી ત્યારે બની જ્યારે જાણવા મળ્યું કે ગતરોજ ફરજ દરમિયાન પ્રીતિ પરમાર પોતાના સ્ટાફ સાથે ખુશખુશાલ વાતચીત કરી હતી. તેમણે સ્ટાફ સાથે પાણીપુરી ખાધી હતી તેમજ નાસ્તો પણ કર્યો હતો. ત્યારબાદ શું બન્યું કે તેમણે આવું અંતિમ પગલું ભર્યું, તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
LIB શાખામાં ફરજ બજાવતા હતા
મૃતક પ્રીતિ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB (Local Intelligence Branch) શાખામાં ફરજ બજાવતા હતા. ગતરોજ ફરજ પુરી કર્યા બાદ તેઓ પોતાના રૂમમાં ગયા હતા, જ્યાં બાદમાં આપઘાતની ઘટના સામે આવી.
હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.





