જામ રાવલમાં હોલિકા દહન કરાયું; રાવલમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું. હોળી પહેલા જન્મેલા બાળકોને તેમના મામાઓ દ્વારા હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવી. બાળકોને હોળીની પ્રદક્ષિણા કરાવવાથી તમામ આસુરી શક્તિઓ સામે રક્ષણ મળે છે.
હોળીનો તહેવાર અને તેની સાથે જોડાયેલી પરંપરા
આજે સાંજના સમયે હોલિકા પ્રગટાવીને તમામ સ્થળ પર હોલિકા દહનની ઉજવણી થતી જોવા મળશે. હોલિકા દહનના તહેવારના પરંપરિક પરંપરાને લઈને પણ આજે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આજના દિવસે સૌરાષ્ટ્રમાં હોળી પૂર્વે જન્મેલા તમામ બાળકો અને તેમાં પણ ખાસ કરીને દીકરાને હોળીની સાત પરીક્રમા કરાવવાની એક વિશેષ પરંપરા આદિ અનાદિકાળથી સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જેમાં નવજાત બાળકને તેના મામા દ્વારા હોળીની સાત પરિક્રમા કરાવીને તેમના ભાણેજનો તમામ આસુરી શક્તિઓ સામે રક્ષણ થાય તે માટે ખાસ પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે.
ઉત્સવની જેમ મનાવાય છે વાડ પરંપરા
જે બાળકનો જન્મ હોળી પૂર્વે થયો હોય તે બાળકના મામા દ્વારા હોળીના દિવસે ‘વાડ પરંપરા’ ઉત્સવથી મનાવવામાં આવે છે. જેમાં નવજાત બાળકને મામા તરફથી નવા કપડાં, સોનાના આભૂષણ સહિત ધાર્મિક વિધિમાં જે ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે તમામ લાવી આપવામાં આવે છે. જે ઘરે બાળકનો જન્મ થયો હોય ત્યાંથી તેના મામા નવજાત બાળકને તેડીને ફુલેકાના સ્વરૂપે તેના ઘરથી હોલિકા પ્રગટ થઈ હોય તે સ્થળ સુધી ઢોલ-શરણાઈના સથવારે આવતા હોય છે.
અહીં મામા દ્વારા તાંબાના કળશમાં શ્રીફળ રાખીને સતત પાણીની ધારાઓ વડે હોલિકા દહનની સાત પરિક્રમા તેના ભાણેજ સાથે કરતા હોય છે ત્યારબાદ શ્રીફળને હોલિકામાં પધરાવીને તેના ભાણેજનું તમામ આસુરી શક્તિઓ સામે રક્ષણ થાય તે માટે હોલિકાની વિશેષ પૂજા પણ કરતા હોય છે. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો એક માંગલિક પ્રસંગની જેમ જ એકઠા થાય છે અને ભોજન પ્રસાદની સાથે સમગ્ર પરિવાર ધાર્મિક વિધિ વિધાન સાથે સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારીને હોલિકાના તહેવારની ઉજવણી કરતા હોય છે.
અંબાલાલે વરતારો આપતા કહ્યું- ‘આ વર્ષ આઠથી દસ આની રહેશે’
આજે રાજ્યભરમાં હોલિકા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. લોકોએ હોલિકા દહન બાદ પ્રદક્ષિણા કરી પૂજા અર્ચન કર્યું. ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી ઊંચી હોલિકાનું દહન કરાયું. પાલજમાં હોલિકા દહન સમયે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ લોકોએ હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઉજવણી કરી.
હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વરતારો આપવાની પણ પ્રથા ચાલી આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વરતારો આપ્યો હતો. અંબાલાલે કહ્યું હતું કે, પવનની દિશા જોતા આ વર્ષ આઠથી દસ આની રહેવાની શક્યતા છે.